આજે ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્દગીતા વિશે જાણીએ


હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા ની  ઉત્પત્તિ માગશર શુક્લ અગિયારસના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. વર્ષ 2020માં માગશર શુક્લ અગિયારસ 25 ડિસેમ્બર એટલે કે આજે છે. ગીતાની ઉત્ત્પતિના આ દિવસને ગીતા જ્યંતી તરીકે મનાવવામાં આવે છે. ગીતા જ્યંતીના દિવસે શ્રીમદ પાઠ કરવામાં આવે છે અને દેશભરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા માં કુલ 18 અધ્યાય છે, જેમાં 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાય ભક્તિયોગ પર આધારિત છે. આ ગીતાના અધ્યાયોથી જ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો. 



ભગવાન શ્રીકૃષ્ણે મહાભારત દરમિયાન મુંઝવણમાં ફંસાયેલા અર્જુનને ઉપદેશ આપ્યા હતા. જેથી તેઓ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને તેના કર્તવ્ય અને કર્મનો માર્ગ દર્શાવી શકે. માન્યતા અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં અર્જુન સામે પોતાના પરિવારના લોકો અને સંબંધિઓને જોઇને ભયભીત થઇ ગયા હતા. સાહસ અને વિશ્વાસથી અડગ અર્જુન મહાયુદ્ધની શરૂઆત થતાં પહેલા જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા. 



અર્જુન શ્રીકૃષ્ણને કહે છે, 'હું યુદ્ધ નહીં કરું. હું પૂજ્ય ગુરુ તથા સગાઓને મારીને રાજ્ય સુખ પ્રાપ્ત કરવા નથી ઇચ્છતો, ભિક્ષાન્ન ખાઇને જીવન ધારણ કરવાનું યોગ્ય માનું છું.' આ સાંભળીને સારથી બન્યા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્ય અને કર્મ વિશે જણાવ્યું. તેમણે આત્મા-પરમાત્માથી લઇને ધર્મ-કર્મ સાથે સંકળાયેલી અર્જુનની દરેક શંકાનું નિદાન કર્યુ. 



ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. જે દિવસે શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો તે દિવસ માગશર શુક્લ અગિયારસ હતી. આ અગિયારસને મોક્ષદા અગિયારસ પણ કહેવામાં આવે છે. મોક્ષદા અગિયારસના દિવસે જ ગીતા જ્યંતી મનાવવામાં આવે છે. 

શ્રીમદ્ ભગવદ્ ગીતા નું મહત્વ




શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે. આ વિશ્વનો એક એવો ગ્રંથ છે. જેની જયંતી મનાવામાં આવે છે. ગીતા મનુષ્યનો પરીચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થએ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારીક વસ્તુઓ માં થી મુક્તિ નો માર્ગ બતાવે છે. તેના અભ્યાસ, શ્રવણ, ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે.


ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઇશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે. 


દુનિયાભરમાં વસતા હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે. 100થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા માં કોઇ એવો વિષય બાકી નથી. દરેક વિષયો જ્ઞાન ભક્તિ અને કર્મ સાધકને જરૂરી તમામ વિષયો પર ચર્ચા કરી છે. સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તે તો તેને આધાર મળી જાય છે. ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. સમાજમાં અંધશ્રદ્ધાઓ ને મુક્ત બનીને સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. માણસને કશું નહિ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. નિરાશા હિંમત બની જાય છે. મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે.


ગીતા જ્યંતીના દિવસે ઘર અને મંદિરોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ કરવામાં આવે છે. ત્યારે, કેટલાય લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે.


શ્રી મદ ભગવદ્ ગીતાના પ્રસિદ્ધ શ્લોક :


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत 

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् 

परित्राणाय साधूनां विनाशाय च दुष्कतामधर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे 


ભાવાર્થ: હે ભારત (અર્જુન), જયારે જયારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સંસ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.


नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः 

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः


એ આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ આત્માને અગ્નિ બાળતો નથી, એને જળ પણ કહોવરાવતાં નથી, તેમ વાયુ પણ એને સુકવતો નથી. 


जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च 

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि 


કારણ કે - જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, માટે અપરિહાર્ય-અવશ્ય બનવાના અર્થમાં તું શોક કરવાને યોગ્ય નથી. 


सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ 

ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि


સુખ દુ:ખ સમાન કરીને-માનીને, તેમજ લાભ-અલાભ, જય-પરાજય, એ બધામાં સમાનતા રાખીને તે પછીજ યુદ્ધ માટે જોડાઇ જા ! એમ કરવાથી તને પાપ નહિ લાગે.


कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन 

मा कर्मफलहेतुर्भू: मा ते सऽगोऽस्त्वकर्मणि


તારો અધિકાર કર્મ કરવામાં છે, તેના ફળમાં કદાપિ નથી. માટે તું ફળના હેતુથી કર્મ ના કર અને કર્મ ન કરવાવાળો પણ ના બન.

Post a Comment

0 Comments